ગઢ અને કિલ્લાઓનો ઈતિહાસ ખુબજ રસપ્રદ છે. ગઢ અને કિલ્લાઓનો ઈતિહાસ સમજવા માટે તેની ઉપયોગીતા જાણવી ખુબજ જરૂરી છે. કિલ્લો એક પ્રકારે પથ્થર અને માટીનું ચણતર છે જેમાં માનવ સમુદાય યુદ્ધ દરમિયાન આશ્રય લેતા હતા. આક્રમણ કરનારી સેના કિલ્લાની બહાર પડાવ નાખે ત્યારે કિલ્લાની અંદર વસવાટ કરનાર લોકો પાસે પૂરતા પ્રમાણમાં અનાજ અને પાણી ની વ્યવસ્થા રહેતી જેથી કરીને તેઓ આક્રમણકારો સામે ટકી શકતા.
રાજસ્થાનનો ઈતિહાસ કિલ્લા અને ગઢ ના બાંધકામથી ભરેલો છે. ગુજરાતમાં મુખ્યત્વે પાવાગઢનો કિલ્લો, ઉપરકોટનો કિલ્લો ( જુનાગઢ) , હીરા સલાટ દ્વારા નિર્મિત ડભોઈનો કિલ્લો , ઈલ્વાનો કિલ્લો (ઇડર), લખપતનો કિલ્લો, દીવનો કિલ્લો, ઝીંઝુવાડાનો કિલ્લો, ધોરાજીનો કિલ્લો, ભુજીઓ કિલ્લો (ભુજ), જુનો કિલ્લો (સુરત), લખોટાનો કિલ્લો ( જામનગર) વગેરે ખુબજ જાણીતા નામ છે. આ ઉપરાંત વ્યુહરચના માટેના નાના-નાના કિલ્લાઓ પણ આવેલા છે.
ગઢ સાથે જોડાયેલ કેટલીક કહેવતો પણ ગુજરાતમાં પ્રસિદ્ધ છે. જેમકે ગઢ જીતવો કે ગઢી ફતેહ કરવી. ગઢચી નો મતલબ ગઢનું રક્ષણ કરનાર દેવી થાય છે જયારે ગઢના રક્ષકને ગઢવી કે ગઢવીર કહેવામાં આવે છે. દુર્ગદીપીકા અને કોટચક્ર જેવા ગ્રંથોમાં ગઢની રચનાનો ઉલ્લેખ જોવા મળે છે. જંગલ માં બનાવેલ દુર્ગ ને ધન્વદુર્ગ, રણમાં બનેલ દુર્ગને ધનુ દુર્ગ, ડુંગર પર બનેલ દુર્ગને ગીરીદુર્ગ, ખીણમાં આવેલ દુર્ગને ગર્તાદુર્ગ કહેવામાં આવે છે. દુર્ગો મોટે ભાગે રાજ્યની સીમાઓ ઉપરજ બનાવવામાં આવતા જેથી કરીને તે રાજ્યની સીમાઓનું આક્રમણકારીઓથી રક્ષણ કરી શકે. દુર્ગની આસપાસ ખાઈ બનાવવામાં આવતી જેથી કરીને યુધ્ધેતર સ્થિતિમાં દુર્ગ વધારે સુરક્ષિત રહી શકે. યુદ્ધ દરમિયાન આ કિલ્લાઓ અને ગઢમાં લોકો પોતાને સુરક્ષિત માનતા અને પોતાના વિશ્વાસુ કિલ્લેદારો પર ભરોસો મૂકી નિશ્ચિંત બની જતા.
રાજમહેલો પોતાનું રાજકીય મહત્વ ધરાવે છે જયારે કિલ્લો કે પછી ગઢ નું સ્થાન યુદ્ધ સાથે સંકળયેલ છે. રાજમહેલો સુધી યુદ્ધનો ચિતાર પહોચાડવામાં અને તે અનુસાર યુદ્ધ કરવામાં સક્ષમ યુધ્વીરો યુધ્ધના પાસા પલટવામાં અગ્રેસર રહેતા. તેઓ પોતાના જીવના જોખમે પણ પોતાના રાજ્યહિતને પ્રાધાન્ય આપતા. સીમા પર આવેલા અને અસુરક્ષિત નાના કિલ્લાઓમાં રહેતા લોકો યુદ્ધકળાના સારા એવા જાણકાર હોય છે કારણકે વારંવાર થતા હુમલાઓ તેમને આ કળામાં નિપુણતા બક્ષે છે. રાજભવનો અને રાજપ્રસાદો સાથે નિર્મિત શહેરી કિલ્લો પ્રમાણમાં વધારે સુરક્ષિત અને મજબુત હોય છે.ગુજરાતમાં દુર્ગના સૌથી પ્રાચિનતમ અવશેષો કચ્છના દેશલપર ગામમાંથી મળે છે.