ભારતમાં પંચાયતી રાજ વ્યવસ્થા ની બાબતે ચર્ચા કરતા પહેલા પંચાયતી રાજ, ગ્રામસ્વરાજ અને ભારતીય ગ્રામીણ વ્યવસ્થાનો ઐતિહાસિક પરિપ્રેક્ષ્ય જોવો અનિવાર્ય બને છે.
ભારતમાં આર્યોનું આગમન થયું ત્યારે સિંધુ નદીના પ્રદેશમાં એક પછી એક આર્ય કુળો પોતાના પશુઓ સાથે ચારાની શોધમાં ફરતા હતા. આર્યોનો મુખ્ય વ્યવસાય પશુપાલન હતો અને પરિણામે તેઓનું જીવન સ્થાયી ન હતું. આર્યો માટે ખેતી એટલી અગત્યની બાબત ન હતી,પરંતુ કાળક્રમે તેઓ પશુઓના ચરિયાણ અને પોતાના ખોરાક માટે ખેતી કરતા થયા. આર્યો ની ટોળી – ટોળી વચ્ચેના સંઘર્ષને પરિણામે સપ્ત-સિંધુ પ્રદેશને ઓળંગી કેટલીક ટોળીઓ ગંગા નદીના કિનારે સ્થાયી થયી .
એક પછી એક ટોળી ગંગાના પ્રદેશમાં સ્થાયી થઇ તેને જનપદ કહેવામાં આવતું, અહીં જન એટલે “લોકો” અને પદ એટલે “પગ” એનો અર્થ એ થયો કે જ્યાં લોકોના પગ સ્થિર થયા તે “જનપદ”. આ જનપદ એ પ્રારંભિક પ્રકારના ગ્રામ્ય (ગામ) હતા જેમાં મોટેભાગે દરેક ગ્રામ્યમાં એકજ કુળના લોકો રહેતા હતા. કુળ નો વડો “કુળપતિ” કહેવતો અને તે પોતાના કુળના હિત માટેના બધા નિર્ણયો કરતો હતો. આ એક પ્રારંભિક કક્ષાએ આર્યોના સ્થાયી જીવનની શરૂઆત હતી. એક ટોળી ની અન્ય ટોળી સાથેની અથડામણનું મુખ્ય કારણ પણ પશુ સંપત્તિ બાબતેનું રહેતું જેના નિર્ણયો પોતાના કુળના હિત માટે “કુળપતિ” કરતો.
તો મિત્રો, આવા પ્રકારનો આર્યોનો દંગો સમય જતા ગ્રામ્ય એટલેકે “ગામ” નું સ્વરૂપ ધારણ કરે છે,જયારે એક કુળ ના આર્યો બીજા કુળના આર્યો તેમજ ભારતમાં વસતા મૂળનિવાસી લોકોનો(કે જેને આર્યો “પણી” તરીકે ઉદબોધન કરતા) સમાવેશ પોતાના દંગામાં એટલેકે “જનપદ” માં કરે છે. અહીંથી શરૂઆત થાય છે સૌ પ્રથમ ગ્રામસભાની જેમાં માત્ર એક કુળનો વડોજ નિર્ણય પ્રક્રિયાનો અધિષ્ઠાતા ન રહેતા જનપદ ના અન્ય કુલપતિઓને પણ ગ્રામ્ય હિત માટેના નિર્ણયોમાં સમાવવામાં આવે છે કારણકે જનપદમાં સ્થાયી થયેલ પ્રત્યેક વ્યક્તિનું હિત એ સમષ્ટિના હિત સાથે સંકળાયેલું છે. અહીં, એ સમજવું અનિવાર્ય બની જાય છે કે આર્ય પરંપરામાં સામુહિક નિર્ણયની પ્રક્રિયા એ શરૂઆતમાં માત્ર પશુસંપત્તિ કે સામાજિક વ્યવસ્થા બાબતે સીમિત ન રહેતા ધાર્મિક અને કર્મકાંડો બાબતે આગળ વધે છે. ધર્મ અને કર્મકાંડો એ બંને બાબતો આર્યોના પરિપ્રેક્ષ્ય માં અલગ-અલગ છે.
જનપદના સ્થાયીપણા ને પરિણામે જનસંખ્યામાં વધારો થવો સ્વાભાવિક છે અને જે જન્મ આપે છે “મહાજનપદ” ને. ચંદ્રગુપ્ત મોર્ય ના સમયમાં મગધની આસપાસ શોળ મહાજનપદ હતા જ્યાં બધાજ પ્રકારના સામુહિક નિર્ણયો લોકશાહી ઢબે લેવામાં આવતા. સભા અને સમિતિ માં નિર્ણયની પ્રક્રિયામાં જનપદના લોકો પોતાના અભિપ્રાયો આપતા અને જે બાબત લોકહિત સાથે જોડાયેલી હોય તેને “ધાર્મિક” બાબત કહેવામાં આવતી. અહીં ધર્મ એટલે વ્યક્તિગત આચરણ અને જીવન જીવવા માટેના નિયમોનો સંપુટ. આર્ય સમાજ વ્યવસ્થામાં “વિદથા” અંતર્ગત સ્ત્રીઓને સામુહિક નિર્ણય પ્રક્રિયાની ભાગીદાર બનાવવામાં આવતી હતી.
ગ્રીકમાં જ્યાં માત્ર નગરમાં રહેનાર વ્યક્તિ કે જે નાગરિક કહેવાય તેવા પુરુષોને જ સામુહિક નિર્ણય પ્રક્રિયામાં ભાગીદાર બનાવવામાં આવતા તેવા સમયે સ્ત્રીઓ તેમજ અન્ય જાતિના લોકોને જનહિત માટે અનુક્રમે વિદથા અને સભામાં સ્થાન આપનાર આર્ય સંસ્કૃતિ સાચા અર્થમાં “પંચાયતી રાજ ” , “ગ્રામસભા ” અને “લોકશાહી” ની જનની કહી શકાય.
પ્રજ્ઞેશ ઈશરાણી
You must be logged in to post a comment.