રજવાડાઓનું એકત્રીકરણ અને ગુજરાત – 2

The States

The States

જામનગરના જામસાહેબ ખુબ જ મહત્વકાંક્ષી હતા, જામસાહેબ દ્વારા જામ-જૂથ યોજના અમલમાં મુકવામાં આવી. જામ જૂથ યોજના અંતર્ગત સૌરાષ્ટ્રના પચાસ રજવાડા જોડાઈને એક ફેડરલ ફ્રન્ટ (જામ જૂથ) બનાવવાની કોશિશ કરાઈ.સરદાર પટેલ અને ઉછરંગરાય ઢેબર દ્વારા તેનો વિરોધ કરવામાં આવ્યો હતો. જામસાહેબની યોજના આ રજવાડાઓને સંગઠિત કરી એક સાર્વભૌમ સત્તા બનાવવાની હતી પરંતુ માઉન્ટ બેટન દ્વારા પ્રતિસાદ ન મળ્યો જેથી પડતી મૂકી અંતે ભારતીય સંઘમાં વિલીનીકરણ કરવામાં આવ્યું.
સૌરાષ્ટ્રના આ નાના મોટા રજવાડાઓને ભેગા કરી 15 ફેબ્રુઆરી 1948 ના દિવસે જામનગર ના લાલ બંગલામાં એક સંઘ બનાવવામાં આવ્યો જેને નામ અપાયું ” યુનાઈટેડ સ્ટેટ્સ ઓફ કાઠીયાવાડ” જે પછી થી ઓળખાયું “યુનાઈટેડ સ્ટેટ્સ ઓફ સૌરાષ્ટ્ર” . આમ સૌરાષ્ટ્રને ભારતીય સંઘ માં 15 એપ્રિલ 1948 ના દિવસે ભેળવી દેવામાં આવ્યું અને તેને B પ્રકારનું રાજ્ય બનાવવામાં આવ્યું. સૌરાષ્ટ્રની રાજધાની રાજકોટ બનાવવામાં આવી અને તેના પ્રથમ મુખ્યમંત્રી તરીકે કાર્ય કર્યું ઉછરંગરાય ઢેબરે. બળવંતરાય મેહતા સૌરાષ્ટ્ર રાજ્યના ઉપ-મુખ્યમંત્રી હતા. જામનગરના રાજવી દિગ્વિજયસિંહને રાજપ્રમુખ અને ભાવનગરના રાજવીને ઉપરાજ પ્રમુખ બનાવવામાં આવ્યા.

સૌરાષ્ટ્ર ના પાંચ જીલ્લા હતા, ( અમરેલી મુંબઈ રાજ્યમાં આવતું હતું)

1) હાલાર ( અત્યારનો જામનગર અને દેવભૂમિ દ્વારકા જીલ્લો )
2) ઝાલાવાડ ( સુરેન્દ્રનગર જીલ્લો)
3) સોરઠ ( અત્યારનો જુનાગઢ અને ગીર-સોમનાથ જીલ્લો)
4) ગોહિલવાડ ( ભાવનગર જીલ્લો)
5) મધ્ય સૌરાષ્ટ્ર ( અત્યારનો રાજકોટ અને મોરબી જીલ્લો)

આમ , 1948 થી 1956 સુધી સૌરાષ્ટ્ર એક અલગ રાજ્ય તરીકે પ્રસ્થાપિત રહ્યું, 1956 થી 1960 સુધી તે બૃહદ મુંબઈ અંતર્ગત આવ્યું અને 1960 થી ગુજરાત રાજ્યનું અભિન્ન અંગ બન્યું।

9 નવેમ્બર 1947 જુનાગઢ ભારતીય સંઘમાં જોડાયું
15 જાન્યુઆરી 1948 ભાવનગર ભારતીય સંઘમાં જોડાયું
15 એપ્રિલ 1948 ના દિવસે જુનાગઢ, ભાવનગર, જામનગર, રાજકોટ, પાલીતાણા, વાંકાનેર, વાડિયા, ધાંગધ્રા, લાઠી, કોટડા-સાંગાણી જેવા રાજ્યો સાથેનો સંઘ ભારતીય સંઘમાં જોડાઈ “યુનાઈટેડ સ્ટેટ્સ ઓફ સૌરાષ્ટ્ર ” બને છે.

કચ્છના ભારતીય સંઘ સાથેના જોડાણ વિષે વાત કરીએ તો 4 મે 1948 ના દિવસે કચ્છનું જોડાણ મહારાવ મદનસિંહ દ્વારા ભારતમાં કરવામાં આવ્યું। કચ્છને ભારતીય સંઘ માં C રાજ્યનો(કેન્દ્ર શાસિત પ્રદેશ) દરજ્જો આપવામાં આવ્યો. 1956 માં કચ્છને મુંબઈ રાજ્યમાં ભેળવી દેવામાં આવ્યું અને 1960 માં તે ગુજરાતનું અભિન્ન અંગ બન્યું.

હવે જોઈએ વડોદરા રાજ્યનો ભારતીય સંઘ સાથેના વિલીનીકરણનો ઈતિહાસ
વડોદરા રાજ્યમાં ગાયકવાડ રાજવીઓ દ્વારા શાસન કરવામાં આવતું હતું, ભારતની સ્વતંત્રતા સમયે વડોદરામાં રાજ્યશાસનની ધુરા પ્રતાપસિંહરાવ ગાયકવાડ પાસે હતી. વડોદરામાં પ્રજામંડળની આગેવાની જીવરાજ મેહતા દ્વારા લેવામાં આવી હતી. 1 મે 1949 ના દિવસે પ્રતાપસિંહ રાવ દ્વારા વડોદરા રાજ્યનું ભારતીય સંઘમાં વિલીનીકરણ કરવા માટેની સંમતિ આપવામાં આવી. વડોદરા રાજ્યને આજ દિવસે મુંબઈ પ્રાંતમાં ભેળવવામાં આવ્યું, 1 મે 1960ના દિવસે વડોદરા ગુજરાત રાજ્યનું એક અભિન્ન અંગ બન્યું.

આમ સૌરાષ્ટ્ર B પ્રકારનું રાજ્ય બન્યું , કચ્છ C પ્રકારનું રાજ્ય બન્યું અને બાકીનું ગુજરાત મુંબઈ પ્રાંતનો ભાગ બન્યુ. 1956માં બધાજ પ્રાંતોને દ્વિભાષી મુંબઈ પ્રાંતમાં ભેળવી દેવામાં આવ્યા જે 1960 સુધી મુંબઈનો ભાગ બની રહ્યા.

રજવાડાઓનું એકત્રીકરણ અને ગુજરાત – 1

રજવાડાઓનું એકત્રીકરણ અને ગુજરાત – 1

ગુજરાતનો રાજકીય ઈતિહાસ ખુબ જ રસપ્રદ અને આરોહ અવરોહવાળો છે. ગુજરાતના રાજકીય ઇતિહાસમાં બીલીપત્રના ત્રણ પાંદડાનો સમાવેશ થાય છે જે છે ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છ અને આ ત્રણેય પર્ણનો રાજકીય ઈતિહાસ સમજવા માટે આપણે થોડાક વધારે ઊંડા ઉતરવું પડશે. પહેલા ગુજરાતના રાજકીય ઈતિહાસને આપણે વિભિન્ન ભાગમાં વહેંચી નાખીએ

" Courtyard of Nawab of Junagadh"

” Courtyard of Nawab of Junagadh”

1) રજવાડાઓનું એકત્રીકરણ અને ગુજરાત ( 1948 થી 1956 )
2) બૃહદ મુંબઈ અંતર્ગત સમગ્ર ગુજરાત ( 1 નવેમ્બર 1956 થી 30 એપ્રિલ 1960           સુધી)
3) મહાગુજરાતનું આંદોલન અને વર્તમાન ગુજરાતની રચના ( 1 મે 1960 ભાષા             આધારિત)

 

 

 

 

તો હવે આપણે જોઈએ આઝાદીના સમયે ગુજરાતની રાજકીય સ્થિતિ.15 ઓગસ્ટ 1947 ના દિવસે ભારતે આઝાદી મેળવી અને ત્યારે ગુજરાત વહેંચાયેલું હતું નીચે પ્રમાણે ,

સૌરાષ્ટ્ર અને તેમાં આવેલા નાના મોટા 222 રજવાડા (ગુજરાતમાં કુલ 350 રજવાડા)
કૃષ્ણકુમારસિંહજીના શાસન તળે ભાવનગર રાજ્ય
મહોબતખાનના શાસન તળે જુનાગઢ રાજ્ય
પ્રતાપસિંહ ગાયકવાડ ના શાસન તળે વડોદરા રાજ્ય
મહારાવના શાસન તળે કચ્છ
દિગ્વીજયસિંહના શાસન તળે જામનગર
મયુરધ્વજસિંહના શાસન તળે ધાંગધ્રા
રસુખખાનના શાસન તળે પાલનપુર
(ભારતના રજવાડાના એકત્રીકરણ નું કાર્ય સરદાર વલ્લભભાઈ પટેલ, વી.પી. મેનન અને વી. શંકર દ્વારા હાથ ધરવામાં આવ્યું હતું.)

કૃષ્ણકુમારર્સિંહજીએ ભાવનગરમાં સ્વતંત્ર રાજ્યની રચના કરી અને તેના મુખ્યમંત્રી બન્યા બળવંતરાય મહેતા ( 15 જાન્યુઆરી 1948) એજ પ્રમાણે પ્રતાપસિંહરાવ વડોદરા છોડી બ્રિટન ચાલ્યા જતા જીવરાજ મહેતા વડોદરાના મુખ્યમંત્રી બન્યા. સમગ્ર સૌરાષ્ટ્રના નાનામોટા રાજ્યોનું એકત્રીકરણ કરવામાં આવ્યું. જોકે વડોદરા જુન 1949 થીજ મુંબઈ રાજ્યનો એક ભાગ બની જાય છે. સૌરાષ્ટ્ર મુખ્યત્વે પાંચ જીલ્લામાં વહેંચાયેલું હતું જેમકે 1) હાલાર 2) ઝાલાવાડ 3) સોરઠ 4)ગોહિલવાડ 5) મધ્ય સૌરાષ્ટ્ર, આમ સમગ્ર સૌરાષ્ટ્ર ને એકત્રિત કરી B રાજ્ય અંતર્ગત મુકવામાં આવ્યું . સૌરાષ્ટ્રનો એક સ્વતંત્ર રાજ્ય તરીકે સ્વીકાર 15 ફેબ્રુઆરી 1948 ના રોજ કરવામાં આવ્યો. રાજધાની તરીકે રાજકોટ હતી અને મુખ્યમંત્રી તરીકે ઉછરંગરાય ઢેબર દ્વારા શપથ લેવાયા. મહારાવ ના શાસન તળેનું રાજ્ય કચ્છ, 4 મે 1948 ના રોજ મહારાવની માંગણીને ધ્યાને લઇ કેન્દ્રશાસિત પ્રદેશ ( C પ્રકારનું રાજ્ય) ઘોષિત કરવામાં આવ્યું. જુનાગઢનો સમાવેશ જાન્યુઆરી 1949 માં સૌરાષ્ટ્ર અંતર્ગત કરવામાં આવ્યો.

સૌરાષ્ટ્ર રાજ્યના મુખ્યમંત્રી તરીકે 1956 સુધી બે વ્યક્તિઓ સેવા આપે છે ઉછરંગરાય ઢેબર અને રસિકલાલ પરીખ. આમ ગુજરાતનો રાજકીય ઈતિહાસ સમજવા માટે થોડુંક ઊંડું ઉતરવું પડે તેમ છે.સૌ પ્રથમ આપણે સૌરાષ્ટ્રના નાના મોટા રજવાડાઓનું એકત્રીકરણ કેવી રીતે થયું તેના વિષેની વાત કરીએ. સૌરાષ્ટ્રના રજવાડાઓમાં કેટલાક રજવાડા ખુબજ પ્રગતિશીલ હતા જેમકે ભાવનગર રાજ્ય કે જેમા કૃષ્ણકુમારસિંહજી રાજા હતા અને પ્રભાશંકર પટ્ટણી જેવા દિવાન હતા. આ રાજ્યમાં 1941 થી ધારાસભા હતી. રાજકોટ, પાલીતાણા, વાંકાનેર, લાઠી, કોટડા-સાંગાણી જેવા રાજ્યોમાં પ્રતિનિધિસભા પણ હતી. જુનાગઢમાં નવાબ મહોબતખાન શાસન કરતા હતા તેના વજીર શાહનવાઝખાન ભુટ્ટો હતા. ભારતના એકીકરણ વખતે મુખ્યત્વે ત્રણ રાજ્યોનો પ્રશ્ન ઉદભવ્યો હતો તેમાં જમ્મુ-કશ્મીર, જુનાગઢ અને હૈદરાબાદનો સમાવેશ થાય છે. જુનાગઢમાં બહુમતી પ્રજાની ઈચ્છા ભારત સાથે જોડાવાની હતી તેને અવગણીને મહોબતખાન દ્વારા તેનું જોડાણ પાકિસ્તાન સાથે કરી દેવામાં આવ્યુ. જૂનાગઢની સાથે સાથે માણાવદર દ્વારા પણ પાકિસ્તાન સાથે જોડાવાનો પોતાનો નિર્ણય જાહેર કરવામાં આવ્યો.
જુનાગઢ તાબાના બાબરીયાવાડ અને માંગરોળ દ્વારા ભારત સરકાર સાથે કરાર કરવામાં આવ્યા. જૂનાગઢની પ્રજાના રક્ષણ માટે મુંબઈમાં માધવબાગ ખાતે કાઠીયાવાડ રાજકીય પરિષદ મળી જેના દ્વારા આરઝી હુકુમતની સ્થાપના કરવામાં આવી અને 30 સપ્ટેમ્બરના રોજ રાજકોટ ખાતે જુનાગઢ હાઉસનો કબ્જો લેવાયો. આરઝી હુકુમત અંતર્ગત જૂનાગઢનો વહીવટ રાજકોટ ખાતેથી શરુ કરવામાં આવ્યો ( જુનાગઢ હાઉસમાંથી). આરઝી હુકુમત અંતર્ગત જુનાગઢના સરનશીન ( વડાપ્રધાન ) તરીકે શામળદાસ ગાંધી ને અને કમાન્ડર ઇન ચીફ તરીકે રતુભાઈ અદાણીને ઘોષિત કરવામાં આવ્યા. જુનાગઢનો નવાબ પાકિસ્તાન ભાગી જતા શાહનવાઝ ભુટ્ટો દ્વારા સૌરાષ્ટ્રના કમિશનર એન. એમ. બુચને પત્ર લખી જૂનાગઢનો કબ્જો લેવા માટે કહેવામાં આવ્યું. નવેમ્બરમાં જૂનાગઢનો કબ્જો લેવાયો, ત્યારબાદ તેને ભારતમાં ભળવા માટેનો પ્રજામત લેવામાં આવ્યો જેના અનુસાર 1,90,870 જેટલા લોકોએ ભારત સાથેના જોડાણને સ્વીકાર્યું અને માત્ર 91 મત પાકિસ્તાનની તરફેણમાં પડ્યા. આમ જુનાગઢ, બાબરીયાવાડ, બાંટવા, માંગરોળ વગેરેને ભારતસંઘમાં ભેળવવામાં આવ્યા.આરઝીહુકુમતની રચનાથી માંડી જુનાગઢના ભારત સાથેના જોડાણની સમગ્ર પ્રક્રિયાને ઓપ આપનાર ગુજરાતીઓમાં સમાવિષ્ઠ થાય છે શામળદાસ ગાંધી, દુર્લભજી ખેતાણી, રતુભાઈ અદાણી, બળવંતરાય મેહતા, સુરગભાઇ વરુ, મણીલાલ દોશી વગેરે.

રજવાડાઓનું એકત્રીકરણ અને ગુજરાત – 2

પંચાયતી રાજ વ્યવસ્થા – 4

મિત્રો આપણે આગળના અભ્યાસમાં જોયુંકે ભારતના પરિપ્રેક્ષમાં પંચાયતીરાજ શું છે? તેનું ઐતિહાસિક મહત્વ શું છે? ગ્રામ્ય સંસ્કૃતિ એક સ્વાયત્ત એકમ તરીકે ભારતીય સામાજીક-આર્થિક વ્યવાસ્થામાં કેવી રીતે ધબકે છે? અને ખરેખરા અર્થમાં ગ્રામ્ય વ્યવસ્થા પોતાની રીતે જ પોતાના પ્રશ્નોને હલ કરતી આવેલ છે તેને થોડાક સુધારા-વધારા સાથે આપણે પંચાયતીરાજ વ્યવસ્થા અંતર્ગત કેવી રીતે મનુષ્ય વિકાસના માધ્યમ તરીકે નવપલ્લવિત કરી.

અહીં બંધારણના 73માં સુધારાની ( 1992) મુખ્ય બાબતોનો ઉલ્લેખ કરવો અનિવાર્ય બની જાય છે.

(1) ગ્રામ, જીલ્લા, તાલુકા કક્ષાએ સ્વાયત્ત એવા ત્રિસ્તરીય પંચાયતી રાજની રચના
(2) ગ્રામ,જીલ્લા, તાલુકા કક્ષાએ પછાત વર્ગના ઉત્થાન માટે “સામાજિક ન્યાય સમિતિ” નું ગઠન ( કુલ પાંચ સભ્યો માંથી મહિલા અને    વાલ્મીકી સમાજ માંથી એક-એક ફરજીયાત)
(3) જીલ્લા કક્ષાએ શિક્ષણ સમિતિ અને અપીલ સમિતિની રચના
(4) સ્વતંત્ર નાણાપંચ અને ચુંટણીપંચ
(5) અનુસુચિત જાતિ (વસ્તીના આધારે અનામત ) , અનુસુચિત જનજાતિ (વસ્તીના આધારે અનામત ) , સામાજિક અને શૈક્ષણીક રીતે પછાત વર્ગ (10 ટકા અનામત) તેમજ મહિલાઓ ( 1/3 બેઠકો અનામત જે હાલમાં 1/2 કરાયેલ છે.) માટે અનામત દ્વારા રાજકીય ભાગીદારી.
(6) રાજ્ય કક્ષાએ વિકાસ કમિશ્નર તંત્ર , જીલ્લા કક્ષાએ જીલ્લા વિકાસ અધિકારી તેમજ તાલુકા કક્ષાએ તાલુકા વિકાસ અધિકારી દ્વારા યોજનાઓના અમલીકરણ માટેનું માળખું
(7) રાજ્ય કાઉન્સિલની રચના જેમાં પંચાયત મંત્રી અધ્યક્ષ અને જીલ્લા પંચાયતના પ્રમુખો સભ્ય
(8) કર્મચારીઓની ભરતી માટે “પંચાયત સેવા પસંદગી બોર્ડ” ની રચના
(9) ધારાસભ્ય અને સંસદસભ્ય સલંગ્ન પંચાયતમાં કાયમી નિમંત્રિત સભ્ય
(10) સ્થાનિક નિધિ અને ઉપકારો નાખવાના અધિકાર
(11) ગ્રામ્ય પંચાયત માટેની મહત્તમ વસ્તી મર્યાદા 10,000 થી વધારી 15,000 કરવામાં આવી
(12) તાલુકા પંચાયતમાં 1 લાખની વસ્તી માટે 15 બેઠકો અને વધારાની 25,000 ની વસ્તી દીઠ 2 બેઠકો
(13) જીલ્લા પંચાયતમાં 4 લાખની વસ્તી માટે 17 સભ્યો અને વધારાની 1 લાખની વસ્તી દીઠ 2 બેઠકો
(14) ગ્રામ્ય કક્ષાએ બનાવવી પડતી સમિતિઓ :સામાજિક ન્યાય સમિતિ , પાણી સમિતિ (સભ્ય સંખ્યા :5)
(13) તાલુકા કક્ષાએ બનાવવી પડતી સમિતિઓ : કારોબારી સમિતિ , સામજિક ન્યાય સમિતિ ( સભ્ય સંખ્યા : 9)
(14) જીલ્લા કક્ષાએ બનવાની પડતી સમિતિઓ : કારોબારી સમિતિ ,શિક્ષણ સમિતિ ( સભ્ય સંખ્યા : 9); સામજિક ન્યાય સમિતિ , જાહેર આરોગ્ય સમિતિ, જાહેર બાંધકામ સમિતિ, અપીલ સમિતિ, વીસ મુદ્દા અમલીકરણ સમિતિ, ઉત્પાદન- સહકાર અને સિંચાઈ સમિતિ, મહિલા બાલકલ્યાણ યુવા પ્રવૃત્તિ સમિતિ ( સભ્ય સંખ્યા :5)

પંચાયતીરાજ – 1
પંચાયતીરાજ – 2
પંચાયતીરાજ – 3

પંચાયતી રાજ વ્યવસ્થા-3

ભારતની આઝાદી સમયે લગભગ 90 ટકા લોકો ગામડામાં રહેતા હતા અને 70 થી 80 ટકા લોકો નીરક્ષર હતા. મુખ્ય વ્યવસાય અને અર્થતંત્ર ખેતી આધારિત હતું. ભારતના સર્વાંગી અને સમતોલ વિકાસ માટે આયોજન પંચની આવશ્યકતા હતી અને 1950 માં આયોજન પંચની રચના કરવામાં આવી.મિત્રો આપણે આગળ જોયું તે પ્રમાણે ગામડું એ એના અસ્તિત્વની ક્ષણથી માંડી ભારતની આઝાદીના સમય સુધી પોતાની જરૂરિયાતો માટે સ્વનિર્ભર હતું. ભારતમાં ગ્રામીણ અને શહેરી એવી બે પ્રકારની ભિન્ન-ભિન્ન સંસ્કૃતિઓ પનપતી હતી. શહેરોનું ગ્રામીણ સંસ્કૃતિ પરનું અવલંબન વધારે હતું કારણકે મૂળભૂત જરૂરિયાત જેવીકે અન્ન, શકભાજી,ફાળો, દૂધ જેવી જીવનજરૂરિયાત બધીજ ચીજો માટેનો આધાર ગામડું હતું જયારે સામે પક્ષે શહેરો પાસે એવું મૂળભૂત કશું હતું જ નહિ જે તે ગ્રામ્યજનોની જરૂરિયાત હોય. આમ ગામડું એ એક પ્રકારે સ્વાયત્ત એકમ હતું.

Panchayatiraj

The Panchayati-Raj Committee

ભારતની પ્રથમ પંચવર્ષીય યોજના ની શરૂઆત ઈ.સ. 1951 માં થઇ જેમાં ખેતીને પ્રાધાન્ય આપવામાં આવ્યું હતું જે ભારતીય અર્થવ્યવસ્થા ખેતી આધારિત અને ગ્રામીણ હોવાનો નિર્દેશ કરે છે. ભારતમાં બીજી પંચવર્ષીય યોજનાને મહાલનોબીસ યોજના તરીકે ઓળખવામાં આવે છે. જેની શરૂઆત વર્ષ 1956 અને તેમાં પ્રાધાન્ય ભારે ઉદ્યોગો ને આપવામાં આવેલ હતું. 1956- 57 ના બજેટની ચર્ચા દરમિયાન મુલ્કી અને મહેસુલી ખર્ચની જોગવાઈ માટે ગૃહમંત્રી ગોવિંદવલ્લભ પંત ની અધ્યક્ષતામાં એક સમિતિનું ગઠન કરવામાં આવ્યું હતું.
ગોવિંદવલ્લભ પંત સમિતિ દ્વારા યોજનાના જુદા જુદા પાસાના અભ્યાસ માટે જુદી જુદી સમિતિઓનું ગઠન કરવામાં આવ્યું જેમાંની એક સમિતિ હતી ” સામુદાયિક વિકાસ અને રાષ્ટ્રીય વિસ્તરણ દ્વારા ગ્રામવિકાસ” જેના અધ્યક્ષ હતા શ્રી બળવંતરાય મેહતા. મેહતા સમિતિએ પોતાનો એહવાલ 1957 માં રજુ કરી કેટલીક ભલામણો કરી જે પૈકીની સૌથી અગત્યની ભલામણ હતી “ત્રિસ્તરીય પંચાયતોનું ગઠન” આથી આ સમિતિને પંચાયતી રાજ સમિતિ તરીકે પણ ઓળખવામાં આવે છે.

ગુજરાતમાં પંચાયતીરાજ માટેની વિભિન્ન સમિતિઓ અને તેઓની ખુબજ અગત્યની ભલામણો અને વર્ષ નીચે મુજબ છે.

બળવંતરાય મેહતા સમિતિ (રાષ્ટ્રીય સમિતિ ,ગઠન વર્ષ – 1956, એહવાલ વર્ષ-1957)

(1) ત્રિસ્તરીય પંચાયતોનું ગઠન
(2) ગ્રામવિકાસની યોજનાઓ પંચાયતના હસ્તક અને 100 ટકા ખર્ચની જોગવાઈ
(3) પંચાયતોને કરવેરા ઉઘરાવવાની સત્તા

– બળવંતરાય મેહતા સમિતિની ભલામણોને અંતર્ગત શ્રી જવાહરલાલ નેહરુના હસ્તે રાજસ્થાનના નાગોર જીલ્લામાં 2-10-1959 પંચાયતીરાજ નો પ્રારંભ કરવામાં આવ્યો.
– 1960 માં ગુજરાત રાજ્યની સ્થાપના થતા ગુજરાતમાં સૌપ્રથમ પંચાયતીરાજ માટે “રસિકલાલ પરીખ” ની અધ્યક્ષતામાં 15 સભ્યોની એક સમિતિનું ગઠન કરવામાં આવ્યું
– રસિકલાલ પરીખ સમિતિની ભલામણોના અંતર્ગત ગુજરાત પંચાયત અધિનિયમ -1961 ઘડવામાં આવ્યો.
-1962 માં ભારત-ચીન યુદ્ધ ને કારણે ગુજરાતમાં પંચાયતીરાજનો અમલ 1963 થી કરવામાં આવ્યો.

જાદવજી મોદી સમિતિ – 1964
ડાહ્યાભાઈ નાયક સમિતિ- 1968

ઝીણાભાઈ દરજી સમિતિ -1972
(1) મહિલા , અનુસુચિત જાતી , અનુસુચિત જનજાતિ માટે અનામત
(2) ત્રણેય સ્તર પર “સામાજિક ન્યાય” સમિતિની રચના
(3) ત્રણેય સ્તર પર સીધી ચુંટણી
(4) સરપંચને મતદાતા સીધા ચૂંટે
(5) ગ્રામપંચાયત સિવાય, તાલુકા અને જીલ્લા પંચાયત ની ચુટણી પક્ષીય ધોરણે

રીખવદાસ શાહ સમિતિ – 1977
(1) રીખવદાસ સમિતિ દ્વારા પંચાયતીરાજ ને બંધારણીય સ્થાન આપવાની ભલામણ કરવામાં આવી હતી
(2) બિનહરીફ થતી પંચાયતને પ્રોત્સાહન આપવું ( સમરસ પંચાયતો )

રાષ્ટ્રીય સ્તરે એલ.એમ. સિંઘવી સમિતિ દ્વારા પંચાયતી રાજને બંધારણીય દરજ્જો આપવાની ભલામણ 1986 માં કરવામાં આવી, જે અંતર્ગત 1992માં સંસદમાં પંચાયતીરાજ માટેનો 73મો બંધારણીય સુધારો લાવવામાં આવ્યો. સુધારા અંતર્ગત અનુચ્છેદ 243 અને 11 અનુસૂચી ઉમેરવામાં આવી. પંચાયતી રાજની પ્રથમ કલમ 1993 થી અમલમાં આવી જયારે અન્ય કલમો 1994 થી અમલમાં આવી.

પંચાયતરાજનો 73મો બંધારણીય સુધારા ની કેટલીક અગત્યની બાબતો નીચે પ્રમાણે છે.
(1) 15,000 સુધીની વસ્તી માટે ગ્રામ પંચાયત એથી ઉપર નગરપાલીકા
(2) મતાધિકાર 18 વર્ષ , સભ્યપદ માટે 21 વર્ષ
(3) વીસ લાખથી ઉપરની વસ્તીવાળા રાજ્યમાં ત્રિસ્તરીય, 20 લાખથી ઓછી વસ્તી ધરાવતા રાજ્યમાં દ્વિસ્તરીય પંચાયતી રાજ
(4) મહિલાઓ માટે 1/3 બેઠકો અમલમાં
(5) અનુસુચિત જાતિ અને અનુસુચિત જનજાતિ માટે વસ્તીના ધોરણે અનામત
(6) સામાજિક અને શૈક્ષણીક પછાત વર્ગ માટે 10 ટકા અનામત
(7) મુદત 5 વર્ષ, રાજ્ય ચુંટણી પંચ દ્વારા ચુંટણી
(8) અનુસુચિત વિસ્તારો માટે અલગ પ્રબંધ

પંચાયતીરાજ-1
પંચાયતીરાજ-2
પંચાયતી રાજ-4  

પંચાયતી રાજ વ્યવસ્થા-2

મિત્રો ગ્રામીણ વ્યવસ્થા અને આર્ય સંસ્કૃતિ વિષે જાણ્યા પછી તમે એટલું તો ચોક્કસ સમજ્યા હશો કે ભારત ગ્રામ્ય સંસ્કૃતિની સાથે-સાથે ગ્રામ સ્વરાજ બાબતે ઐતિહાસિક સમયથી જ પરિપક્વ રાષ્ટ્ર છે. આજે પણ આપણે સામજિક અને ગ્રામીણ વ્યવસ્થા બંનેમાં “મુખી” કે “પંચ પરમેશ્વર” જેવા શબ્દો સંભાળીએ છીએ કે જે ભારતીય ગ્રામ સ્વરાજ ના ઉદઘોતક છે.

ભારતમાં આર્યોના આગમન પછી આ દેશ ભરત રાજાના નામ પરથી ભારત બને છે. કાળક્રમે ભારતમાં “શક” , “હુણ”, “કુષાણ”, “ક્ષત્રપ”, “અફઘાની”, “ઈરાની”, “તુરાની”, “ખુરાસની”, “મોંગોલ” જેવી અનેક પ્રજાતિઓનું આગમન થયું અને સાંસ્કૃતિક દ્રષ્ટિએ તેઓનો ભારત રાષ્ટ્રમાં સમન્વય થયો. ભારતમાં શાસકો બદલાતા ગયા પરંતુ ગ્રામીણ વ્યવસ્થામાં કોઈ મોટા પ્રકારના બદલાવ ન હતા. ભારતીય ગામો માં વસવાટ કરતા લોકોની વસ્તી લગભગ 80 થી 90 ટકા જેટલી હતી અને શહેરીકરણ ખુબજ ઓછા પ્રમાણમાં થયેલ પરિણામે રાજકીય એકમ તરીકે ભારતીય ગામ હંમેશા અકબંધ રહ્યું હતું . ભારતીય-ગામનો શાસકો સાથેનો સંબંધ માત્ર મહેસુલ આપવા પુરતો મર્યાદિત હતો અને જેને પરિણામે કોઈપણ શાસન હોય તેના આંતરિક સાર્વભૌમત્વ એટલેકે ગ્રામ સ્વરાજ્યને ક્યારેય ખરોચ પહોંચી ન હતી.

Village Life

1857 ના બળવા પછી, રિપન દ્વારા 1862 માં નગરપાલિકાઓની સ્થાપના કરવામાં આવી અને તેને પરિણામે 1869 માં મુંબઈ લોકલફંડનો કાયદો અમલમાં આવ્યો. ત્યારબાદ આ મોડેલ પરથી 1884માં દરેક જીલ્લામાં લોકલ બોર્ડની રચના કરવામાં આવી. 1889માં ગ્રામ-સફાઈનો કાયદો અમલમાં આવ્યો. આ લોકલ બોર્ડ ને સરકાર દ્વારા ફંડ આપવામાં આવતું જેના અંતર્ગત તે શહેરી નાગરિકોની જરૂરિયાત અને માંગણી મુજબ ના કાર્યોને આખરી ઓપ આપતું. ભારતમાં રિપન ને સ્થાનિક સ્વરાજનો પિતા માનવામાં આવે છે. પરંતુ રિપન દ્વારા લેવાયેલા પગલાતો શહેરીકરણ, શિક્ષણ અને પ્રજામાં પોતાના હક્કો પ્રત્યેની જાગૃતિને પરિણામે માત્ર શહેરી વિસ્તારો પુરતા લોકલ બોર્ડ ની રચના હતી અને આ એવા ભારતીય લોકોની માંગ હતી કે જે મૂળભૂત રીતે ગ્રામ્ય વ્યવસ્થામાંથી શહેરોમાં સ્થળાંતરિત થયેલ હતા. શહેરમાં સ્થળાંતરિત થયેલ લોકો એ ભારતીય ગ્રામ-સ્વરાજ , સંપ, ભાતૃભાવના અને ગ્રામ્ય-હિત એ વ્યક્તિગત હિત કરતાં ચડિયાતું છે તે પ્રકારની ભાવના શહરોમાં પણ પ્રસ્થાપિત થાય અને પોતાના પ્રશ્નો પોતાના દ્વારાજ હાલ થાય તેવા પ્રકારના મનોભાવ સાથે 1857ના બાળવામાં, પોતાની રીતે મનોવૈજ્ઞાનિક આધાર પર સામેલગીરી કરી. ભારતીય શહેરી માનસ ભવિષ્યમાં પણ અંગ્રેજો વિરુદ્ધ આવા કોઈ પ્રકારના બળવામાં મનોવૈજ્ઞાનિક રીતે શામેલ ના થાય તે આશય પણ આ લોકલ બોર્ડની રચના પાછળ હોવો ઘટે.

ભારતીય ગ્રામ્ય વ્યવસ્થાનો કારીગર વર્ગ જેવાકે લુહાર, સોની, કુંભાર, દરજી, વાણંદ, ગ્રામ્ય -સફાઈ કામદાર તદ-ઉપરાંત મંદિરના પુજારી, મહાદેવના સાધુ, મસ્જીદ નો મૌલવી અને ખેતઉત્પાદન સાથે જોડાયેલો ખેડૂત અને મજુર વર્ગ અન્યોન્ય જરૂરત પણ પૂરી કરતા અને ગ્રામ્ય વિકાસ માટે બહુમતીથી થતી નિર્ણયની પ્રક્રિયામાં ભાગીદાર પણ બનતા. આજે પણ ભારતના ગામડાઓમાં મંદિર, અને મસ્જીદ ના નિભાવ ખર્ચ માટે ખેતરો અને ગ્રામ્ય પશુઓના ચારા માટે ગોચરની જમીનનું હોવાપણું ગ્રામ્ય-સ્વરાજ નું દીર્ઘ-દ્રષ્ટિપણું સાબિત કરે છે. ભારતના કેટલાય ગામડામાં સમરસ થતી પંચાયતો એ રાજકીય અખાડાબાજીથી દુર રહી ગ્રામ્ય-હિત ને પ્રાધાન્ય અને ગ્રામીણ દૂરંદેશીપણાને દ્રષ્ટિગોચર કરે છે. આજે પણ કેટલાક ગામોમાં ધાન્યના બદલામાં મળતી શાકભાજી, માટીના વાસણ, લુહારી કામ એ માત્ર સાટા પધ્ધતિ નહિ પરંતુ અર્થતંત્ર તરીકે ગ્રામ એક સ્વાયત એકમ છે તે સાબિત કરવા માટે પુરતું છે. સુંઢલ દ્વારા થતી ખેતી ( બે ખેડૂત કુટુંબ દ્વારા એકબીજા સાથે ખેતી કામમાં કરવામાં આવતી ભાગીદારી), ધાર્મિક સ્થાનના નિભાવ માટે ના ખેતરોની જોગવાઈ, છાશનું મફત વિતરણ જેવી બાબતો ગ્રામીણ સદભાવના અને સંપ નું પ્રતિક છે.

રિપનનું સ્થાનિક સ્વરાજ લોકલફંડની ફાળવણી અને શહેરી વિસ્તારના વિકાસના કામોની 1857 ના વિપ્લવ પછી અવગણના ન કરવાની અંગ્રેજ સદબુદ્ધિ ને દર્શાવે છે. જયારે સામે પક્ષે ગ્રામ-સ્વરાજ એ ભારતીય સંસ્કૃતિનું એક ઐતિહાસિક લક્ષણ છે જેમાં ગ્રામિણ જી.ડી.પી.( ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડકસન) અને ગ્રામીણ એચ.એચ.આઈ. (હ્યુમન હેપીનેસ ઇન્ડેક્ષ) નું સમિશ્રણ છે.

પ્રજ્ઞેશ ઈશરાણી

પંચાયતી રાજ -1
પંચાયતીરાજ -3
પંચાયતીરાજ-4

પંચાયતી રાજ વ્યવસ્થા-1

ભારતમાં પંચાયતી રાજ વ્યવસ્થા ની બાબતે ચર્ચા કરતા પહેલા પંચાયતી રાજ, ગ્રામસ્વરાજ અને ભારતીય ગ્રામીણ વ્યવસ્થાનો ઐતિહાસિક પરિપ્રેક્ષ્ય  જોવો અનિવાર્ય બને છે.

ભારતમાં આર્યોનું આગમન થયું ત્યારે સિંધુ નદીના પ્રદેશમાં એક પછી એક આર્ય કુળો પોતાના પશુઓ સાથે ચારાની શોધમાં ફરતા હતા. આર્યોનો મુખ્ય વ્યવસાય પશુપાલન હતો અને પરિણામે તેઓનું જીવન સ્થાયી ન હતું. આર્યો માટે ખેતી એટલી અગત્યની બાબત ન હતી,પરંતુ કાળક્રમે તેઓ પશુઓના ચરિયાણ અને પોતાના ખોરાક માટે ખેતી કરતા થયા. આર્યો ની ટોળી – ટોળી વચ્ચેના સંઘર્ષને પરિણામે સપ્ત-સિંધુ  પ્રદેશને ઓળંગી કેટલીક ટોળીઓ ગંગા નદીના કિનારે સ્થાયી થયી .

Mahajanpadas

Ancient Democratic Establishment in India

એક પછી એક ટોળી ગંગાના પ્રદેશમાં સ્થાયી થઇ તેને જનપદ કહેવામાં આવતું, અહીં જન એટલે “લોકો” અને પદ એટલે “પગ” એનો અર્થ એ થયો કે જ્યાં લોકોના પગ સ્થિર થયા તે “જનપદ”. આ જનપદ એ પ્રારંભિક પ્રકારના ગ્રામ્ય (ગામ) હતા જેમાં મોટેભાગે દરેક ગ્રામ્યમાં એકજ  કુળના લોકો રહેતા હતા. કુળ નો વડો  “કુળપતિ” કહેવતો અને તે પોતાના કુળના હિત માટેના બધા નિર્ણયો કરતો હતો. આ એક પ્રારંભિક કક્ષાએ આર્યોના સ્થાયી જીવનની શરૂઆત હતી. એક ટોળી ની અન્ય ટોળી સાથેની અથડામણનું મુખ્ય કારણ પણ પશુ સંપત્તિ બાબતેનું રહેતું જેના નિર્ણયો પોતાના કુળના હિત માટે “કુળપતિ” કરતો.

તો મિત્રો, આવા પ્રકારનો આર્યોનો દંગો સમય જતા ગ્રામ્ય એટલેકે “ગામ” નું સ્વરૂપ ધારણ કરે છે,જયારે એક કુળ ના આર્યો બીજા કુળના આર્યો તેમજ ભારતમાં વસતા મૂળનિવાસી લોકોનો(કે જેને આર્યો “પણી” તરીકે ઉદબોધન કરતા) સમાવેશ પોતાના દંગામાં એટલેકે “જનપદ” માં કરે છે. અહીંથી શરૂઆત થાય છે સૌ પ્રથમ ગ્રામસભાની જેમાં માત્ર એક કુળનો વડોજ નિર્ણય પ્રક્રિયાનો અધિષ્ઠાતા ન રહેતા જનપદ ના અન્ય કુલપતિઓને પણ ગ્રામ્ય હિત માટેના નિર્ણયોમાં સમાવવામાં આવે છે કારણકે જનપદમાં સ્થાયી થયેલ પ્રત્યેક વ્યક્તિનું હિત એ સમષ્ટિના હિત સાથે સંકળાયેલું છે. અહીં, એ સમજવું અનિવાર્ય બની જાય છે કે આર્ય પરંપરામાં સામુહિક નિર્ણયની પ્રક્રિયા એ શરૂઆતમાં માત્ર પશુસંપત્તિ કે સામાજિક વ્યવસ્થા બાબતે સીમિત ન રહેતા ધાર્મિક અને કર્મકાંડો બાબતે આગળ વધે છે. ધર્મ અને કર્મકાંડો એ બંને બાબતો આર્યોના પરિપ્રેક્ષ્ય માં અલગ-અલગ છે.

જનપદના સ્થાયીપણા ને પરિણામે જનસંખ્યામાં વધારો થવો સ્વાભાવિક છે અને જે જન્મ આપે છે “મહાજનપદ” ને. ચંદ્રગુપ્ત મોર્ય ના સમયમાં મગધની આસપાસ શોળ મહાજનપદ હતા જ્યાં બધાજ પ્રકારના સામુહિક નિર્ણયો લોકશાહી ઢબે  લેવામાં આવતા. સભા અને સમિતિ માં નિર્ણયની પ્રક્રિયામાં જનપદના લોકો પોતાના અભિપ્રાયો આપતા અને જે બાબત લોકહિત સાથે જોડાયેલી હોય તેને “ધાર્મિક” બાબત કહેવામાં આવતી. અહીં ધર્મ એટલે વ્યક્તિગત આચરણ અને જીવન જીવવા માટેના નિયમોનો સંપુટ. આર્ય સમાજ વ્યવસ્થામાં “વિદથા” અંતર્ગત સ્ત્રીઓને સામુહિક નિર્ણય પ્રક્રિયાની ભાગીદાર બનાવવામાં આવતી હતી.

ગ્રીકમાં જ્યાં માત્ર નગરમાં રહેનાર વ્યક્તિ કે જે નાગરિક કહેવાય તેવા પુરુષોને જ સામુહિક નિર્ણય પ્રક્રિયામાં ભાગીદાર બનાવવામાં આવતા તેવા સમયે સ્ત્રીઓ તેમજ અન્ય જાતિના લોકોને જનહિત માટે અનુક્રમે વિદથા અને સભામાં સ્થાન આપનાર આર્ય સંસ્કૃતિ સાચા અર્થમાં “પંચાયતી રાજ ” , “ગ્રામસભા ” અને “લોકશાહી” ની જનની કહી શકાય.

પ્રજ્ઞેશ ઈશરાણી

પંચાયતી રાજ -2
પંચાયતી રાજ-3              
પંચાયતી રાજ -4